ધોરણ 12 - ગુજરતી વ્યાકરણ : કૃદંતના પ્રકાર

 ગુજરતી વ્યાકરણ : કૃદંતના પ્રકાર

ધોરણ 12
ગુજરતી વ્યાકરણ : કૃદંતના પ્રકાર

વિદ્યાર્થીમિત્રો, તમારા પ્રશ્નપત્રમાં કૃદંતને લગતો પ્રશ્ન પૂછાય છે. તમે ક્રિયાપદ અને કૃદંતનો ભેદ જાણો છો. હવે આ પ્રકરણની સમજૂતી દ્વારા 'કૃદંત'ના મુદ્દા વિશે તમે પાકી સ્પષ્ટતા મેળવી લેજો. તમારા પાઠયપુસ્તકમાં 'કૃદંતના પ્રકારો'ની ઉદાહરણ સહ ટૂંકી સમજ આપી છે.


પણ હવે, નીચેનાં વાક્યો વાંચો :


(1) પંખી ઊડીને ઝાડ પર બેઠું. (ઊડીને-કૃદંત) (બેઠું-ક્રિયાપદ)


(2) જાદુગરનો ખેલ જોવા બાળકો દોડયાં. (જોવા-કૃદંત) (દોડ્યાં-ક્રિયાપદ)


(3) તે ગીત ગાતાં-ગાતાં રડતી હતી. (ગાતાં-ગાતાં-કૃદંત) (રડવું-ક્રિયાપદ)


(4) મેં વાંચેલું પરીક્ષામાં લખ્યું. (વાંચેલું-કૃદંત) (લખ્યું-ક્રિયાપદ)



મિત્રો, ઉપરનાં વાક્યોમાં ઊડીને/જોવા/ગાતાં-ગાતાં/વાંચેલું - જેવા કૂદંતો વાક્યનો અર્થ પૂરો કરી શકતાં નથી પરંતુ તે ક્રિયા બતાવે છે. એટલે કે જે પદો ક્રિયાપદની જેમ વર્તતાં હોય પરંતુ ક્રિયાપદની જેમ વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકતાં ના હોય તેને “કૃદંત" કહેવાય.


- મિત્રો, વાક્યમાં રહેલાં કૂદતો પરથી કૃદંતના પ્રકાર આ પ્રમાણે છે :


(1) વર્તમાન કૃદંત : તે વર્તમાનકાળમાં થતી ચાલુ ક્રિયા સૂચવે છે. 'ત’ (તો/તી/તું/તાં) પ્રત્યયથી તે સૂચવાય છે.


દા.ત.,  (1) રમતો છોકરો પડી ગયો.

        (2) ઊગતા સૂર્યને સૌ કોઈ પૂજે.

        (3) તે વાંચતાં-લખતાં શીખે છે.

        (4) દોડતી છોકરી રડી રહી છે.


(2) ભૂતકૃદંત : તે ક્રિયાની પૂરી થયાની સ્થિતિ દર્શાવે છે. નજીકનો કે દૂરનો ભૂતકાળ સૂચવે છે. 'ય’/'એલ' પ્રત્યયથી તે સૂચવાય છે. (યો/યી/યું/યાં) (એલો/એલી/એલું/એલાં)


દા.ત.,  (1) ગાજ્યા મેઘ વરસે નહિ.

        (2) કોઈ કશું બોલ્યું નહિ.

        (3) ભણેલી સ્ત્રી સંસાર સુખી રાખે.

        (4) વેચેલો માલ પાછો ન લેવાય.


(3) ભવિષ્ય કૃદંત : તે ભવિષ્યમાં થનારી કે ભાવિ ક્રિયા દર્શાવે છે. 'વાન/નાર'- પ્રત્યય (વાનો/વાની/વાનું) (નારો/નારી/નારું)થી તે સૂચવાય છે.


દા.ત.,  (1) અમે કાલે પહોંચવાના છીએ.

        (2) અમે તેને મળવાનું આવતીકાલે રાખ્યું.

        (3) ગાંધીનગર જનારી બસ હવે ઊપડશે.

        (4) હૉટેલમાં ખાનાર કોઈ નહોતાં.


(4) સામાન્ય (વિધ્યર્થ) કૃદંત: તે ક્રિયાની વિધિ કે કર્તવ્યતાનો કે ક્રિયા થવા માત્રનો ભાવ સૂચવે છે. તે કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતાં નથી. તે ત્રણેય કાળને સમાન રીતે લાગુ પડે છે. (વો/વી/વું)- પ્રત્યયથી તે વાક્યમાં સૂચવાય છે.


દા.ત.,  (1) આ ચોપડી વાંચવી સાવ સરળ હશે.

        (2) આ પાઠ કરવો મને ગમશે.

        (3) તમારે લેખ લખવો જોઈએ.


(5) હેત્વર્થ કૃદંત : તે વાક્યમાં કોઈને કોઈ હેતુનો અર્થ કે પ્રયોજન દર્શાવે છે. (વા/વાને) - પ્રત્યયથી તે સૂચવાય છે.


દા.ત.,  (1) તેની પાસે રહેવાને ઘર નથી.

       (2) આ પુસ્તક હું વાંચવાને લઈ જઈશ.

        (3) તે જમવા માટે/ જમવાને ઉપર ગયો.


(6) સંબંધક ભૂતકૃદંત : તે મુખ્ય ક્રિયાપદની પૂર્વેની ક્રિયા દર્શાવે છે. અગાઉ થઈ ગયેલી ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ સૂચવે છે. (ઈ/ઈને) - પ્રત્યયથી તે સૂચવાય છેં.


દા.ત.,  (1) રડી રડીને તેની આંખ લાલ થઈ ગઈ.

        (2) હસી હસીને તે બેવડ વળી ગયો.

        (3) તેનું ગીત સાંભળીને સૌ ખુશ થઈ ગયાં.


Post a Comment

If you like my post, please comment me...

Previous Post Next Post